રાજકોટના ધોરાજી રેલ્વે સ્ટેશન પર આજે એક આઘાતજનક ઘટના બની છે. રેલ્વે સ્ટેશનના ટિકિટ બુકિંગ વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા નીતીનભાઈ જેઠવા નામના કર્મચારીએ સ્ટેશન પરિસરમાં જ ફિનાઈલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ: ત્રાસનો આક્ષેપ

આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ એક વાયરલ વીડિયોને લીધે ચર્ચામાં આવ્યું છે. નીતીનભાઈ જેઠવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ગંભીર આક્ષેપો કર્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે, ધોરાજી રેલ્વે સ્ટેશન ખાતે કાર્યરત સીણા સાહેબ દ્વારા તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સતત થઈ રહેલા ત્રાસથી કંટાળીને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું છે. આ વીડિયો વાયરલ થતા રેલ્વે વિભાગ અને સ્થાનિક તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

પોલીસ તપાસ અને કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને જોતા ધોરાજી પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે વાયરલ વીડિયો અને પરિવારજનોના નિવેદનોના આધારે હકીકત જાણવા માટે કવાયત હાથ ધરી છે. રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા અન્ય કર્મચારીઓની પણ પૂછપરછ કરવામાં આવશે. શું ખરેખર અધિકારી દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો કે અન્ય કોઈ કારણ છે, તે પોલીસની ઊંડી તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં કર્મચારીની સ્થિતિ પર તબીબો નજર રાખી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો