હાલ રાજ્યમાં શાળાના શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી છે. જ્યાં એક શિક્ષકે વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓ દ્વારા શાળામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો. આ માર મારવાની ઘટનામાં વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો

ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં આવેલી શિશુ કુંજ માધ્યમિક શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. શિક્ષકના મારના કારણે વિદ્યાર્થીના આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જે કારણે તેને તાત્કાલિક હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ વાલીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

શિક્ષકને ફરજમુક્ત કરવાની માંગ

ઘટનાની જાણ ધ્રાંગધ્રા સિટી પોલીસને કરવામાં આવી હતી. જે બાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે શિક્ષક સામે શાળાકીય અને કાયદાકીય રીતે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, તે તો સમય જણાવશે. હાલ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ દ્વારા આ શિક્ષકને ફરજમુક્ત કરવાની માંગ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો - Rajkot News: જંગલેશ્વરમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ નોટિસ, સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદેસર ઘરો પર ફરશે બુલડોઝર