સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા રાજકારણમાં ભાજપે મજબૂત શરૂઆત કરી છે. ધ્રોલ તાલુકા પંચાયતની વિવિધ બેઠકો માટે કુલ 67 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જે દરમિયાન મોટા વાગુદડ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજા બિનહરીફ જાહેર થયા છે. અન્ય કોઈ પ્રતિસ્પર્ધી મેદાનમાં ન રહેતા ચૂંટણી અધિકારી દ્વારા તેમની બિનહરીફ પસંદગીની જાહેરાત કરવામાં આવી છે.

પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સફળતા

હર્ષાબા અનિરુદ્ધસિંહ જાડેજાને ભાજપ દ્વારા પ્રથમ વખત જ ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. પક્ષે તેમના પર મુકેલો વિશ્વાસ પ્રથમ તબક્કે જ સફળ સાબિત થયો છે. રાજકીય વિશ્લેષકો આ જીતને ભાજપ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માની રહ્યા છે, કારણ કે મતદાન પૂર્વે જ એક બેઠક અંકે કરી લેવાથી કાર્યકરોનો ઉત્સાહ બમણો થયો છે. આ બિનહરીફ પસંદગી ધ્રોલ તાલુકામાં ભાજપના મજબૂત સંગઠન અને વર્ચસ્વનો પુરાવો આપે છે.

રાજભા જાડેજાની રણનીતિ રંગ લાવી

આ મહત્વની બિનહરીફ જીત પાછળ જામનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાજભા જાડેજાનો નોંધપાત્ર ફાળો રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમની કુશળ રણનીતિ અને સ્થાનિક સ્તરે કરેલી સમજાવટને કારણે આ બેઠક બિનહરીફ કરવામાં સફળતા મળી છે. હર્ષાબાની જીત બાદ ભાજપના આગેવાનો અને સમર્થકોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ધ્રોલ તાલુકાની બાકીની બેઠકો પર આ બિનહરીફ જીતની કેટલી અસર જોવા મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો