કલ્યાણપુરના દુધિયા ગામના વાડી વિસ્તારમાં રસ્તા બાબતે કુટુંબીજનો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. આ ડખ્ખાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામાન્ય બોલાચાલી લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા કુટુંબીજનોએ 42 વર્ષીય દેવાણંદ વરૂ નામના યુવક પર કુહાડી, લોખંડના પાઇપ અને લાકડી જેવા જીવલેણ હથિયારો વડે બેફામ હુમલો કર્યો હતો.

સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દેવાણંદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને નાના એવા દુધિયા ગામમાં શોક સાથે ચકચાર મચી ગઈ હતી.

5 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આ હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે 2 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 કુટુંબીજનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો