રાજ્યના પાટનગર ગાંધીનગર પાસે આવેલી અડાલજ કેનાલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ગાંધીનગરની અડાલજ કેનાલમાં એક યુવક ગરકાવ થયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. ઊંઝાના ઉનાવા ગામનો આ યુવક કોઈ કારણોસર કેનાલમાં ડૂબ્યો હોવાના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
કેનાલ કાંઠેથી મળી આવ્યું બાઈક
ઘટનાની વિગત મુજબ, અડાલજ કેનાલ પાસે એક બાઈક લાવારિસ હાલતમાં મળી આવ્યું હતું. તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, આ બાઈક ઊંઝાના ઉનાવા ગામના એક યુવકનું છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, યુવકે પોતાનું બાઈક કેનાલના કિનારે પાર્ક કર્યું હતું અને ત્યારબાદ કેનાલના ઊંડા પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે, આ આત્મહત્યાનો પ્રયાસ છે કે અકસ્માત, તે દિશામાં હજુ તપાસ ચાલી રહી છે.
ફાયર બ્રિગેડ દ્વારા સઘન શોધખોળ
ઘટનાની જાણ થતા જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો અને તરવૈયાઓ દ્વારા કેનાલના પ્રવાહમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે, તેમ છતાં ફાયરની ટીમ યુવકને શોધવા માટે સતત પ્રયત્નો કરી રહી છે.
પરિવારમાં ચિંતાનું મોજું
યુવકના ડૂબવાના સમાચાર મળતા જ ઉનાવા ગામમાં અને તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવકે કયા સંજોગોમાં આ પગલું ભર્યું અથવા તેની સાથે શું દુર્ઘટના બની, તે તો યુવક મળી આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં અડાલજ પોલીસે આ અંગે નોંધ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar: જિલ્લામાં બર્ડ ફ્લૂને લઈ તંત્ર એલર્ટ, 18 ટીમો દ્વારા વિવિધ તાલુકાના પોલ્ટ્રી ફાર્મમાં સઘન ચેકિંગ