ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ (GAD) દ્વારા રાજ્યની વર્ગ-3ની તાંત્રિક અને બિન-તાંત્રિક પરીક્ષાઓના માળખામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ચાલી આવતી પરીક્ષા પદ્ધતિમાં સુધારો કરીને હવે નવા ગુણભાર સાથેની વ્યવસ્થા અમલી બનાવવામાં આવી છે. આ નવા ફેરફાર મુજબ, પરીક્ષાના પ્રશ્નપત્રને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અગાઉ ભાગ-B માટે જે 150 ગુણ નિર્ધારિત હતા, તેમાં ઘટાડો કરીને હવે તેને 120 ગુણનું કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી પરીક્ષાની તૈયારી કરતા હજારો ઉમેદવારો પર સીધી અસર પડશે અને તેમને હવે નવા માળખા મુજબ પોતાની રણનીતિ બદલવી પડશે.
મહત્વનો નિર્ણય!
નવા પરીક્ષા માળખાની વિગતો જોઈએ તો, હવે પ્રશ્નપત્રમાં ભાગ-A કુલ 90 ગુણનો રહેશે, જ્યારે ભાગ-B કુલ 120 ગુણનો રહેશે. ખાસ વાત એ છે કે ભાગ-B માં જે-તે જગ્યાને સંબંધિત ટેકનિકલ અથવા ઉપયોગી વિષયો પર વધુ ભાર મૂકવામાં આવશે, જેથી ઉમેદવારની જે-તે વિષય પ્રત્યેની સજ્જતા ચોકસાઈથી માપી શકાય. અગાઉની પદ્ધતિમાં ભાગ-B ના 150 ગુણ હોવાથી પરીક્ષા લાંબી અને સમય માંગી લે તેવી રહેતી હતી, પરંતુ હવે ગુણભારમાં ઘટાડો કરીને તેને વધુ તાર્કિક બનાવવાનો પ્રયાસ કરાયો છે. સામાન્ય વહીવટ વિભાગના આ આદેશ બાદ આગામી તમામ વર્ગ-3ની ભરતી પરીક્ષાઓ આ નવા ફોર્મેટ મુજબ જ યોજવામાં આવશે.













