ભરૂચની એક ખાનગી કંપનીમાં વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની ઉચાપત કરનાર આરોપીઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઈમે લાલ આંખ કરી છે. કંપનીના ભંડોળનો પર્સનલ મોજશોખ અને અંગત ફાયદા માટે દુરુપયોગ કરનાર નીરવ શર્મા, જ્યોતિ શર્મા અને જયશ્રી શર્માની ધરપકડ કરવામાં આવી છે.
છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની ઉચાપત
આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આરોપીઓએ કંપનીના માલિકને અંધારામાં રાખીને તરકટ રચ્યા હતા.કંપનીના માલિકને વાર્ષિક રૂપિયા 120 કરોડનું રેવેન્યુ પ્રોજેક્શન (આવકનો અંદાજ) આપી વિશ્વાસ સંપાદન કર્યો હતો.આરોપીઓએ પોતાના મળતિયાઓના નામે જુદી-જુદી ડમી ફર્મ (ખોટી કંપનીઓ) બનાવી હતી. આ ડમી ફર્મ પાસેથી ઊંચા ભાવે રો મટીરિયલ (કાચો માલ) ખરીદવાનું નાટક કરી કંપનીના નાણાં ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપીઓએ કુલ રૂ. 2,82,00,794/- ની માતબર રકમની છેતરપિંડી આચરી હતી.










