ગાંધીનગર જિલ્લાના સાવ જર્જરીત થઈ ગયેલાં 21 જેટલા માર્ગોના રિસર્ફેસિંગ માટે સરકાર દ્વારા ઈમરજન્સી બેઝીસ ઉપર મંજૂરી આપવામાં આવી છે.
જેમાં ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકાના કુલ 54 કિલોમીટરના રોડના નવીનીકરણ માટે 30.57 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગાંધીનગર તાલુકાના 13, કલોલ તાલુકાના 4, માણસા તાલુકાના 4 રોડ મંજૂર કરાયા છે. જેને પગલે જિલ્લાના 35 જેટલા ગામોના હજારો નાગરિકોને તેનો સીધો ફાયદો મળશે. રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી મંજૂર કરાયેલા માર્ગોમાં ગાંધીનગર તાલુકાના 13 માર્ગો છે, કુલ 33 કિલોમીટરના આ માર્ગોનું 18.60 કરોડના ખર્ચે નવીનીકરણ થશે. જેમાં મોટી આદરજમાં કૈલાસ આશ્રામથી પુન્દ્રાસણ સુધીનો રોડ, રૂપાલ એસટી સ્ટેન્ડથી આમજા, સરઢવ કલેશ હરણીમાતા મંદિરથી કોલવડાને જોડતો રોડ, ઉનાવા બળીયાદેવથી ગાંધીનગર-માણસા હાઈવે સુધીનો રોડ, રતનપુરથી લવારપુર રોડ, NH-8થી ધણપ હાલીસા રોડ, ડભોડા હનુમાન મંદિરથી સોલંકીપુરા વડોદરા લાટને જોડતો રોડ, છાલા-મોતીપુરા રોડ, શિહોલી બળીયાદેવ મંદિરથી ચિલોડા હાઈવે, શિહોલી મોટી ગામથી સ્મશાન હાઈવે કનેક્ટિંગ રોડ વગેરેનો સમાવેશ થાય છે.










