રાજ્યમાં ગ્રીન કવર વધારવા માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં વાવેલા પ્રત્યેક પાંચ વૃક્ષમાંથી એક વૃક્ષ નાશ પામ્યું છે. આયોજનના અભાવે અને યોગ્ય જાળવણી ન થતા સરકારી તિજોરીના કરોડો રૂપિયા જાણે ધૂળમાં મળી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

આંકડાકીય માયાજાળ અને જંગી ખર્ચ

વિધાનસભામાં ધારાસભ્યોએ માંગેલી માહિતી અનુસાર, વર્ષ 2022 થી 2025 દરમિયાન રાજ્યના 22 જિલ્લાઓમાં કુલ 745.28 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેની પાછળ સરકારે 73,885 લાખ થી વધુનો માતબર ખર્ચ કર્યો છે. જોકે, આશ્ચર્યજનક રીતે આમાંથી 121 લાખથી વધુ વૃક્ષો નાશ પામ્યા છે. લાખોના ખર્ચે મસમોટા કાર્યક્રમો યોજીને વૃક્ષારોપણ તો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેની જાળવણી રામભરોસે છોડી દેવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

પર્યાવરણવિદોના આક્ષેપ અને ભ્રષ્ટાચારની શંકા

જાણીતા પર્યાવરણવિદ મહેશ પંડ્યાએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સરકાર માત્ર લક્ષ્યાંકો પૂર્ણ કરવામાં જ અગ્રેસર છે. તેમણે આરોપ લગાવ્યો કે, "આ માત્ર વાવેતર નથી પરંતુ ભ્રષ્ટાચારનું પરિણામ છે. મોનિટરિંગ કે સોશિયલ ઓડિટ વગર કામ થઈ રહ્યું છે. ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કર્યા વગર માત્ર આંકડા બતાવવા માટે વૃક્ષો વાવી દેવાય છે." ખાસ કરીને આદિવાસી વિસ્તારો જેવા કે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને પંચમહાલમાં વૃક્ષો પાછળ સૌથી વધુ ખર્ચ થયો છે, છતાં ત્યાં પણ અસંતુલન જોવા મળે છે. હવે પ્રશ્ન એ ઉઠે છે કે શું આગામી સમયમાં સરકાર માત્ર વાવેતર પર ધ્યાન આપશે કે પછી વૃક્ષોને જીવિત રાખવા માટે કોઈ નક્કર આયોજન કરશે?


આ પણ વાંચો---   Ahmedabad : અનેક લોકોને જમીન અને કન્સ્ટ્રક્શન સ્કીમમાં ઊંચા વળતરની લાલચ આપી 400 કરોડનું જમીન કૌભાંડ