રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે જામીન કે પેરોલ પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનારા આરોપીઓને પકડવા માટે તા. 26મી નવેમ્બરથી વિશેષ 'ઓપરેશન કારાવાસ' શરૂ કર્યું છે, જેમાં ગુજરાત પોલીસને મોટી સફળતા મળી છે.
15 દિવસમાં પોલીસે આશરે 41 આરોપીઓને ઝડપી પાડ્યા
આ ઓપરેશન અંતર્ગત વિસ્તૃત માહિતી આપતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, છેલ્લા 15 દિવસમાં પોલીસે આશરે ૪૧ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તે પૈકી 15 જેટલા આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા. તે ઉપરાંત 25 આરોપીઓ મૃત્યુ પામ્યા હોવાનું ઓપરેશન કરાવાસ દરમિયાન જાણવા મળ્યું છે. તે તમામના ડેથ સર્ટિફિકેટ મેળવીને જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે આ ૨૫ આરોપીઓ પૈકી ૧૭ આરોપીઓ પાંચ વર્ષથી વધુ સમયથી ફરાર હતા.
તમામ આરોપીઓ ખૂન, દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા
નોંધનીય બાબત છે કે, ઓપરેશન કારાવાસ અંતર્ગત પકડાયેલા આ તમામ આરોપીઓ ખૂન, દુષ્કર્મ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા અને આજીવન કેદની સજા થયા બાદ જામીન કે પેરોલ પર છૂટીને જેલમાં પરત ન ફર્યા હોય તે પ્રકારના આરોપીઓ હતા.
આંતર-રાજ્ય કોઓર્ડિનિશન સ્થાપિત કરીને સફળતા પ્રાપ્ત કરી
ગુજરાત પોલીસની આ સફળતા પાછળ તેમની ખંતપૂર્વકની મહેનત અને વ્યૂહાત્મક કામગીરી રહેલી છે. પોલીસે માત્ર હ્યુમન ઇન્ટેલિજન્સનો જ નહીં, પરંતુ ટેક્નિકલ સર્વેલન્સનો પણ અસરકારક ઉપયોગ કરીને આ આરોપીઓને પકડવામાં ખૂબ મોટી જહેમત ઉઠાવી છે. આ આરોપીઓ ખૂબ લાંબા સમયથી ફરાર હતા અને કાયદાથી દૂર રહેવા માટે અન્ય રાજ્યોમાં પણ પોતાની ઓળખ અને હુલિયો છુપાવીને રહેતા હતા. આવા જટિલ કિસ્સાઓમાં પણ ગુજરાત પોલીસે દિવસ-રાત એક કરીને આંતર-જિલ્લા અને આંતર-રાજ્ય કોઓર્ડિનિશન સ્થાપિત કરીને સફળતા પ્રાપ્ત કરી છે.
સમગ્ર ટીમોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા
રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ સફળતા બદલ સમગ્ર ટીમોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા છે. કાયદાથી દૂર રહેલા અન્ય આરોપીઓને વહેલી તકે પકડવા માટે આ કાર્યવાહી હજી પણ ચાલુ રાખવામાં આવનાર છે. વિકાસ સહાયે ઓપરેશન કારાવાસ અંતર્ગત જે આરોપીઓ પેરોલ/ફર્લો પરથી પરત ન આવ્યા હોય, તેમને પકડવા માટે તમામ પોલીસ કમિશનરો અને પોલીસ અધિક્ષકોને સૂચનાઓ આપી છે.
આ પણ વાંચો---- Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો