હાલમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી રાજકીય પક્ષોમાં એમનેમ વિધાનસભા ચૂંટણીનો 'લિટમસ ટેસ્ટ' નથી કહેવાતી! ગુજરાતમાંથી ચૂંટાઈને લોકસભા અને વિધાનસભામાં પહોંચેલા 70 ટકા સાંસદો-ધારાસભ્યો પાલિકા કે પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ એક સમયે ઘાટલોડિયા નગરપાલિકાના પ્રમુખ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા! આથી, ભાજપ હોય કે કોંગ્રેસ,આ બંને રાજકીય પક્ષોમાં વિધાનસભા કે લોકસભામાં પહોંચવા અને સરકાર સંચાલન કરવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને જાહેર વહીવટની 'પાઠશાળા' તરીકે જોવામાં આવે છે.
સ્વતંત્રતા બાદ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા. ભારતમાં સૌથી પહેલા પંચાયતી રાજનો અમલ પણ ગુજરાતમાં થયો છે. આથી, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જાહેર વહીવટ, નાગરિક સુખાકારી સેવાઓનું આયોજન,દૂરંદેશી અને અમલવારીના શિક્ષણ માટેનું પહેલું પગથિયું ગણાય છે.15મી ગુજરાત વિધાનસભામાં 181માંથી 126 ધારાસભ્યોની પૃષ્ઠભૂમિ ગ્રામ પંચાયત,તાલુકા-જિલ્લા પંચાયત કે નગરપાલિકા-મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેલિગેટ, કાઉન્સિલર કે કોર્પોરેટર તરીકેની રહી છે. તે પહેલાની વિધાનસભાઓમાં ધારાસભ્ય રહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ,પૂર્વ મંત્રીઓ વજુભાઈ વાળા, પરસોત્તમ રૂપાલા,કૌશિક પટેલ અને કોંગ્રેસની સરકારોમાં રહેલા પદાધિકારીઓ પણ પાલિકા-પંચાયતમાં પ્રમુખ કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહીને જાહેર વહીવટના કક્કા-બારાખડી શીખીને આવ્યા હતા.










