ગાંધીનગરમાં કોંગો ફીવરમાં નવો કોઈ કેસ સામે ન આવતા આરોગ્ય તંત્રને હાશકારો થયો છે. જોકે નોંધાયેલા કેસમાં હવે ચોક્કસ કારણ જાણવા માટે મથામણ ચાલી રહી છે.
કારણ કે ગામના પશુઓમાં કોઈ બિમારી પકડાઈ નથી, બીજી તરફ ઘરોમાં ચાલી રહેલા સર્વેલન્સમાં પણ તાવ કે અન્ય રિયાદો સામે આવી રહી નથી. જેને પગલે યુવકને બહારથી જ ક્યાંક અસર થઈ હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગાંધીનગર તાલુકાના પીંડારડા ગામે નોંધાયેલા ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસ બાદ નવો કોઈ કેસ કે શંકાસ્પદ દર્દી હજુ સુધી સામે આવ્યા નથી. જેને પગલે હાલ તો આરોગ્ય તંત્રને કંઈક અંશે રાહત મળી છે. જોકે યુવકને અસર ક્યાંથી થઈ તે જાણવું જરૂરી હોવાથી કારણો શોધવા માટે આરોગ્ય તંત્ર મથામણ કરી રહ્યું છે. આરોગ્ય તંત્રની ટીમો દ્વારા આજે 731ની વસ્તીને આવરી લેતા 104 ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યા હતા. જેમાં તાવ કે અન્ય કોઈ ફરિયાદો સામે ન આવી નથી. અહીં પશુઓના સેમ્પલ સાથે આ વિસ્તારની ઈતરડીના ત્રણ સેમ્પલ પણ ટેસ્ટ માટે મોકલાયા છે. જેને પગલે કોઈ પશુ કે ઈતરડીમાં કોંગોને ચેપ છે કે નહીં તે રિપોર્ટ બાદ જ જાણી શકાશે.










