ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સાહિત્ય અને સર્વાંગી બાળ વિકાસઃ બહુરૂપ, કાર્યો અને વૈશ્વિક આંતરદૃષ્ટિ વિષય પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ઉદ્દઘાટન સત્રમાં સંબોધન કરતાં પ્રો. મિલિંદ મરાઠેએ ભારતીય બાળશિક્ષણના પિતામહ ગિજુભાઈ બધેકાને શ્રાદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું હતું કે, બાળકોમાં વાંચનની સંસ્કૃતિ વિકસાવવી અત્યંત જરૂરી છે. સતત વાંચન દ્વારા શબ્દભંડોળ સમૃદ્ધ બને છે અને વિચારશક્તિ વિકસે છે. બાળક માત્ર સાંભળીને નહીં પરંતુ જોઈને શીખે છે, તેથી જો માતા-પિતા અને પરિવારજનો નિયમિત વાંચન કરે તો બાળક પણ તે જોઈને વાંચનની ટેવ વિકસાવે છે. આ માટે પરિવારમાં વાંચનની પરંપરા વિકસાવવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો. કોન્ફરન્સમાં વિવિધ વિષયો પર નિષ્ણાત વક્તાઓ દ્વારા વ્યાખ્યાન આપવામાં આવ્યા હતા. જેમાં બાળકોના સર્વાંગી શિક્ષણ અને વિકાસ માટે નેપાળી મૌખિક લોક કથાઓ, પોલિશ સાહિત્ય અને બાળ શિક્ષણ સાથે તેની સુસંગતતા, શાસ્ત્ર્રીય સંસ્કૃત કથાઓ મારફ્તે સર્વાંગી બાળવિકાસ વિષય પર પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ભાગ લેનાર 170 સહભાગીઓ દ્વારા પોતાના રિસર્ચ પેપર્સ રજૂ કરવામાં આવ્યા હતા. જેને આગામી સમયમાં પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: