ગાંધીનગર સિવિલ કેમ્પસમાં તબીબી ઉપર થયેલા હુમલાને પગલે જૂનિયર્સ ડોક્ટર્સમાં રોષ ફેલાયો છે. જવાબદારો સામે પગલાં લેવા માટે જૂનિયર્સ ડોક્ટર્સ દ્વારા મેડિકલ કોલેજમાં જાણ કરવા સાથે પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. ત્યારે હવે સિવિલ કેમ્પસમાં તબીબી અને વિદ્યાર્થીઓની સુરક્ષા માટે હોસ્ટેલ વિસ્તાર બાજુ બેરીકેટિંગ કરીને સિક્યુરિટી મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
જે આ વિસ્તારમાં આવતા અજાણ્યા વાહનો કે લોકોને આગળ જતાં રોકી શકે. સિવિલ કેમ્પસમાં રાત્રી દરમિયાન ધમધમતી ખાણી-પીણીની દુકાનોમાં આખી રાત લોકોનો જમાવડો રહે છે. જેમાં છાશવારે નાની-મોટી માથાકૂટો સામે આવતી હોય છે. ત્યારે બે દિવસ પહેલાં એક રેસિડેન્ટ ડોક્ટર ઉપર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ત્યારે મેડિકલ કોલેજની હોસ્ટેલો તરફના વિસ્તારને સુરક્ષિત કરવા માટે અહીં બેરીકેટિંગ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. જ્યાં સિક્યુરિટી મુકીને કોઈપણ અજાણ્યા વાહનો કે લોકોને આવતા રોકી શકાય છે. સિવિલ કેમ્પસની અંદર આવેલી દુકાનો ઉપર સિવિલ કે મેડિકલ કોલેજનો કોઈ કંટ્રોલ નથી. જે અંગે ભૂતકાળમાં ઘણીવાર મેડિકલ કોલેજ તંત્ર દ્વારા સંબંધિત તંત્રનું ધ્યાન દોરીને આખી રાત ચાલતી દુકાનો બંધ કરાવવા માટે રજૂઆતો કરી હોવાની વિગતો છે










