મહાશિવરાત્રીની સમગ્ર જિલ્લામાં આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આજે શિવમંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠયા હતા. શિવભક્તોએ સવારથી જ મંદિરોમાં દર્શનાર્થે લાંબી લાઇનો લગાવી હતી. મોડીરાત સુધી મંદિરોમાં ચહલપહલ જોવા મળી હતી.


આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિરોને શણગારવામાં આવ્યા હતા. શહેરના પંચદેવ, ધોળાકુવા સહિતના મંદિરોમાં ગઇકાલ રાત્રીથી જ ચહપહલ જોવા મ ળી હતી. ઉલ્લેખનીય છેકે, મહાશિવરાત્રી એ ભગવાન શિવ અને દેવી પાર્વતીના મિલનના સન્માનમાં ઉજવાતો એક મહત્વપુર્ણ હિન્દુ તહેવાર છે. આ વર્ષે ફાલ્ગુન મહિનાના કૃષ્ણપક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવ્યો છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજય અને આદ્યાત્મિક જાગૃતિનું પ્રતિક માનવામાં આવે છે. મહાશિવરાત્રી એ રાત્રિને ચિન્હીત કરે છે જ્યારે શિવે બ્રહ્માંડને બચાવવા માટે હળાહળ ઝેર પીધુ હતું. શિવરાત્રીએ ભગવાન ભોલેનાથને રીઝવવા માટે ભક્તોએ ઉપવાસ અને રાત્રિભર પુજા અર્ચન કર્યુ હતું. શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકોએ શિવલીંગને પાણી, દુધ અને મધથી સ્નાન કરાવી અભિષેક કર્યો હતો. ઓમ નમઃ શિવાય અને બમ..બમ..ભોલેના નાદથી શિવમંદિરો ગુંજી ઉઠયા હતા.

શિવરાત્રીએ ચાર પ્રહરની પુજાનું પણ અનેરૂ મહત્વ છે. ભક્તોએ ચાર પ્રહરની પુજા કરી ભોલેનાથને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. પંચદેવ, ધોળાકુવા, વાસણિયા મહાદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે લોકમેળો ભરાયો હતો. જેમાં હૈયેહૈયુ દળાય એટલી ગીર્દી જોવા મળી હતી. લોકોએ શિવભક્તિની સાથે લોકમેળાનો પણ આનંદ મેળવ્યો હતો. નાના બાળકોથી લઇને મોટેરાઓએ શિવરાત્રીના લોકમેળામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દહેગામ પાસેના ઉંટડિયા મહાદેવ સહિતના ગ્રામ્ય વિસ્તારોના શિવમંદિરોમાં પણ સવારથી મોડીરાત સુધી શિવભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: