રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લેતાં વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીઓના વિભાજનને મંજૂરી આપી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ડીઇઓ કચેરીના કર્મચારીઓમાં વધી રહેલા કામના ભારણને ઘટાડવું અને શૈક્ષણિક કાર્યોને વધુ કાર્યક્ષમ રીતે સંચાલિત કરવો છે.
કયા જિલ્લાઓમાં થયું વિભાજન?
1 અમદાવાદ શહેર
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને પૂર્વ (East) અને પશ્ચિમ (West)—આ રીતે બે ભાગમાં વિભાજિત કરવામાં આવી છે.
2 રાજકોટ
રાજકોટને શહેર અને ગ્રામ્ય એમ બે વિભાગોમાં વહેંચવામાં આવી છે.
3 વડોદરા
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ શહેર અને ગ્રામ્ય એમ બે ભાગમાં વિભાજિત થઈ છે.
4 ગાંધીનગર
ગાંધીનગરમાં પણ હવે અલગ-અલગ શહેર અને ગ્રામ્ય DEO કચેરીઓ કાર્યરત રહેશે.
5 સુરત
સુરત શહેરના વધતા શૈક્ષણિક ભારને ધ્યાનમાં રાખીને ડીઇઓ કચેરીને શહેર અને ગ્રામ્ય એમ બે વિભાગોમાં વહેંચવામાં આવી છે.
6 કચ્છ જિલ્લો
કચ્છમાં અંજાર – પૂર્વ DEO કચેરી અને કચ્છ (ભુજ) – પશ્ચિમ DEO કચેરી એમ 2 ભાગમાં વિભાજન કરાયું છે
શા માટે જરૂરી બન્યું વિભાજન?
રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જેથી જૂની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓના કર્મચારીઓ પર કામનો ભારે ભારણ પડતું હતું. જેના કારણે અનેક ફાઇલો પેન્ડિંગ રહેતી અને શાળા સંચાલકોને કામકાજમાં વિલંબનો સામનો કરવો પડતો તથા નિરીક્ષણ અને પ્રશાસન કાર્ય અસરકારક રીતે થવામાં મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળો દ્વારા સરકારને DEO કચેરીઓના વિભાજનની માંગ કરવામાં આવી હતી.
શિક્ષણ વિભાગનો નિર્ણય
આ રજૂઆતને માન્યતા આપતા શિક્ષણ વિભાગ દ્વારા કુલ 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓની મંજૂરી આપી છે, જેના કારણે હવે શૈક્ષણિક કાર્યોમાં ઝડપ, પારદર્શિતા અને કાર્યક્ષમતા વધવાની આશા છે.