ગુજરાતના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ભારતીય કિશાન સંઘ દ્વારા આગામી 12 તારીખે ગાંધીનગર ખાતે જે મહા-આંદોલનની ચીમકી આપવામાં આવી હતી, તેને હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું કે સરકાર સાથેની સકારાત્મક બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આંદોલન કરાયું સ્થગિત

કિશાન સંઘની બૃહદ કારોબારી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય પાછળ બે મુખ્ય પાસાઓ જવાબદાર છે. પ્રથમ, રાજ્ય સરકારના કૃષિ મંત્રી અને ઊર્જા મંત્રી સાથેની બેઠક સફળ રહી છે. ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલી વિવિધ માંગણીઓ પૈકી 12 જેટલી મહત્વની માંગણીઓનો સરકારે સ્વીકાર કર્યો છે. બીજું મહત્વનું કારણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે. જે દિવસે આંદોલન થવાનું હતું, તે જ સમયે પ્રધાનમંત્રી અને જર્મનીના વાઈસ ચાન્સેલરનો કાર્યક્રમ આંદોલન સ્થળ મહાત્મા મંદિરની નજીક યોજાનાર હોવાથી સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવાયો છે.

શક્તિ પ્રદર્શનની હતી તૈયારી

અગાઉ નક્કી થયા મુજબ, 'ચલો ગાંધીનગર' કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 70 હજાર જેટલા ખેડૂતો એકઠા થવાના હતા. કિશાન સંઘની વર્ષો જૂની નીતિ રહી છે કે તેઓ સીધા આંદોલન કરવાને બદલે પહેલા પત્ર વ્યવહાર અને ત્યારબાદ રૂબરૂ રજૂઆત કરે છે. જો સરકાર ન સાંભળે તો જ આંદોલનનું શસ્ત્ર ઉગામે છે.

ખેડૂત સંગઠને હાલ પૂરતું આંદોલન રાખ્યું મોકૂફ

આ કિસ્સામાં, ખેડૂતોએ બાંયો ચઢાવતા જ સરકાર હરકતમાં આવી હતી અને મંત્રીઓ સાથેની બેઠકમાં ખેડૂતોના હિતમાં હકારાત્મક નિર્ણયો લેવાયા હતા. પરિણામે, ખેડૂત સંગઠને હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખીને વાટાઘાટોનો માર્ગ પસંદ કર્યો છે.



  • Follow us on: