ગુજરાતના વહીવટી તંત્ર અને રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બે દિવસ માટે દેશની રાજધાની દિલ્હીના પ્રવાસે જઈ રહ્યા છે. આ મહત્વપૂર્ણ પ્રવાસને પગલે ગાંધીનગરમાં મંગળવાર અને બુધવારે યોજાનારી જનતા તેમજ લોકપ્રતિનિધિઓ સાથેની તમામ મુલાકાતો સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત, બુધવારે નિયમિતપણે મળનારી રાજ્ય કેબિનેટની બેઠક પણ હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે
આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 11 જૂનના રોજ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાનો છે. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી રાજ્યના સર્વાંગી વિકાસ માટેનો આગામી વર્ષોનો નવો રોડ મેપ અને માળખાકીય સુવિધાઓનો ચિતાર કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં યોજાનારા વિશેષ રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ સીએમ અને ડેપ્યુટી સીએમ ખાસ હાજરી આપશે.













