ગુજરાતભરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે ગૃહ વિભાગ દ્વારા શરૂ કરાયેલા ઓપરેશનથી ખળભળાટ મચી ગયો છે. આ ચકચારી મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એક અત્યંત મહત્વનું અને આકરૂં નિવેદન આપ્યું છે.
ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં
ગૃહમંત્રીએ સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, ગુજરાતની ધરતી પર એક પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરને રહેવા દેવામાં આવશે નહીં. રાજ્યની અખંડિતતા અને સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં નહીં આવે.
સ્પેશિયલ મેગા ડ્રાઈવ શરુ કરાઇ
હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરતા જણાવ્યું કે, ગુજરાતના ગૃહ વિભાગે અવૈધ ઘૂસણખોરો વિરુદ્ધ કડક અને નિર્ણાયક પગલાં લીધા છે. જેના ભાગરૂપે ગુજરાત પોલીસની એક ‘સ્પેશિયલ મેગા ડ્રાઈવ’ હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. આ ઓપરેશન કોઈ એકાદ વિસ્તાર પૂરતું સીમિત નથી, પરંતુ રાજ્યના તમામ મોટા ઔદ્યોગિક અને વ્યાપારી શહેરોમાં એકસાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પોલીસનો સપાટો
ગૃહમંત્રીએ માહિતી આપતા ઉમેર્યું કે, હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ તેમજ SOGની ટીમો દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ વિસ્તારો અને ઉદ્યોગોમાં તપાસ કરીને પુરાવા વગર રહેતા લોકોની અટકાયત કરવામાં આવી રહી છે.
સૌથી કડક શસ્ત્ર ઉગામવામાં આવશે
રાજ્ય સરકારે પહેલાથી જ પોતાની નીતિ સાફ કરી દીધી હતી કે દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરતા તત્વો વિરુદ્ધ કાયદાનું સૌથી કડક શસ્ત્ર ઉગામવામાં આવશે. ગૃહમંત્રીના આ આકરા તેવર બાદ પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે અને આગામી દિવસોમાં આ મેગા ડ્રાઈવ અંતર્ગત પકડાયેલા ઘૂસણખોરોને ડિપોર્ટ કરવા સહિતની કાયદાકીય પ્રક્રિયાઓ વધુ ઝડપી બનાવવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો---- Gujarat Latest News LIVE : અમદાવાદના વટવા હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, હત્યા પાછળ છુપાયેલું હતું નકલી નોટોનું રહસ્ય