દર વર્ષે 25 મેના દિવસને વિશ્વભરમાં 'ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ મિસિંગ ડે' તરીકે ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ગુમ થયેલા બાળકો પ્રત્યે સંવેદનશીલતા દાખવવાનો અને તેમને શોધવાનો છે. આ ખાસ દિવસે ગુજરાતમાંથી ગુમ થયેલા લોકોના જે આંકડા સામે આવ્યા છે તે લાલબત્તી સમાન છે. સત્તાવાર વિગતો અનુસાર, ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 24,166 લોકો ગુમ થયા છે. આ આંકડાઓમાં સ્ત્રી, પુરુષ તેમજ મોટી સંખ્યામાં સગીર વયના કિશોર-કિશોરીઓનો સમાવેશ થાય છે.
અમદાવાદ અને સુરત ગુમ થવાના કેસોમાં મોખરે
રાજ્યના ગૃહ વિભાગ અને પોલીસ રેકોર્ડ અનુસાર, ગુજરાતના મેગા સિટીઝ ગુમ થવાના કેસોમાં સૌથી મોટા હોટસ્પોટ સાબિત થયા છે. આ યાદીમાં આર્થિક પાટનગર સુરત અને હેરિટેજ સિટી અમદાવાદ ટોચના સ્થાને છે. શહેરીકરણ, વસ્તી ગીચતા અને ટેકનોલોજી કે સોશિયલ મીડિયાના આકર્ષણમાં આવીને ઘર છોડી ભાગી જવાની પ્રવૃત્તિના કારણે કિશોર-કિશોરીઓ ગુમ થવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. આ ઉપરાંત રોજગારીની શોધમાં આવીને ગુમ થતા પુરુષો અને કૌટુંબિક ઝઘડા કે અન્ય કારણોસર લાપતા થતી મહિલાઓનો આંકડો પણ મોટો છે.
