ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ભારતના ચૂંટણીપંચની સુચના અનુસાર ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (ખાસ સઘન સુધારણા) ઝુંબેશના ગણતરીના તબક્કાની સમયમર્યાદા વધારી તા.14 ડિસેમ્બર કરવામાં આવી હતી. જેથી ફોર્મ પરત આવવા માટે ત્રણ દિવસનો વધારાનો સમય મળ્યો હતો. ત્યારે રાજ્યભરમાં ગણતરીના તબક્કાની 100 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.હવે તા.19-12-2025ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવનાર છે તેથી માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.

5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું

રાજ્યમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.જે પૈકી 4.34 કરોડ મતદારોએ ગણતરી ફોર્મ પરત કર્યા છે.આ તમામ ફોર્મનું સંપૂર્ણ ડિઝીટાઇઝેશન કરવામાં આવ્યું છે. 44.45 લાખ જેટલા મતદારોનું મેપીંગ થયું નથી.ગણતરીના તબક્કામાં રાજ્યના તમામ 33 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે. જેથી સરવાળે રાજ્યની કુલ 182 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન કરાયું હતું. આ બેઠકોના નિષ્કર્ષ સાથે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે મતદારોના નામની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી હતી. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ હતી.

18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા

 ગણતરીના તબક્કાના છેલ્લા ચરણ સુધીમાં ધ્યાને આવ્યું કે 18,07,277 અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 9,69,813 મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40,26,010 વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે. જ્યારે 3,81,534 મતદારો રિપીટેડ હોવાનું ધ્યાને આવ્યું છે.

SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી

 આમ, આ મતદારયાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR ઝુંબેશના ગણતરીના તબક્કાની ખુબ અસરકારક કામગીરી જોવા મળી છે.

19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે

 મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા બાદ, તા.19-12-2025 થી તા.18-01-2026 સુધી મતદારયાદી સબંધી વાંધા-દાવા રજૂ કરી શકાશે. જે ભારતના નાગરિક છે અને SIR પછી કોઇ કારણસર ડ્રાફટ રોલમાં નામ નથી સામેલ થયું તો તેવા નાગરિકો આધાર પુરાવા સાથે ફોર્મ નં.6 ભરીને મતદાર યાદીમાં નામ દાખલ કરાવી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાર યાદીમાં બે જગ્યાએ નામ રાખવું તે ગુનો બને છે.


આ પણ વાંચો----  Gujarat Flashback 2025 : બોમ્બની ધમકીનો સિલસિલો અને પકડાઇ એવી ટેકનોક્રેટ મહિલા જેણે પ્રેમનો બદલો લેવા મચાવ્યો હતો હાહાકાર