રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત નિર્મૂલન માટે 8 જૂનથી 30 જૂન દરમિયાન રાજ્યવ્યાપી લેપ્રસી કેસ ડિટેકશન કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.લેપ્રસીના કારણે દર્દીની શારીરિક,માનસિક અને આર્થિક અવદશા ન થાય અને તેને સમયસર સારવાર અને સહાય મળી રહે તે હેતુથી સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓના સહકાર સાથે આ અભિયાન હાથ ધરવામાં આવશે.આ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વસ્તી અને ભૌગોલિક સ્થિતિના આધારે બે સ્તરે સર્વેલન્સ હાથ ધરાશે.
બે કરોડ નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે
આ ઝુંબેશ દરમિયાન નિયત કરેલા વિસ્તારોમાં જાહેર રજાઓ અને મમતા દિવસ સિવાય, આશા બહેનો અને પુરુષ વોલેન્ટીયર્સની વિશેષ ટીમો પ્રત્યેક ઘરની રૂબરૂ મુલાકાત લેશે. આ ટીમો પરિવારના તમામ સભ્યોની રક્તપિત્ત અંગે શારીરિક તપાસ કરશે અને નાગરિકોને આ રોગના લક્ષણો વિશે માહિતગાર કરી જનજાગૃતિ ફેલાવશે.રાજ્યના નિયત કરેલા 12 પ્રાયોરિટી જિલ્લાઓ જેમાં વડોદરા, ભરૂચ, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી તથા વડોદરા અને સુરત કોર્પોરેશનના કુલ 98 તાલુકા-વોર્ડમાં આ અભિયાન ચાલશે. અહીં 15941 ટીમો દ્વારા અંદાજીત 2,01,95,455 નાગરિકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે.













