દેશનો પ્રથમ સિંહ અંડરપાસ તૈયાર : રાજુલા-પીપાવાવ રેલમાર્ગમાં વિશેષ સુરક્ષા


ગીરના જંગલોમાં રાજ કરતા એશિયાટિક સિંહો માટે હવે રેલવે ટ્રેક પાર કરવો વધુ સુરક્ષિત બનશે. રાજુલા-પીપાવાવ અને ઢસા-રાજુલા રેલખંડ પર વન્યજીવોની અવરજવર માટે દેશનો પ્રથમ વિશેષ અંડરપાસ તૈયાર થતાં ગીર વિસ્તારના વન્યજીવ સંરક્ષણમાં એક મહત્વપૂર્ણ સીમાચિહન ઉમેરાયું છે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે રાજ્ય સરકાર અને વન વિભાગના સહયોગથી હાથ ધરેલી આ પહેલને વન્યજીવ સુરક્ષાની દિશામાં ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. ગીર અને તેની આસપાસનો વિસ્તાર વિશ્વમાં એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સિંહોનો વસવાટ વિસ્તાર જંગલની બહાર સુધી વિસ્તરતાં તેઓ વારંવાર રેલવે ટ્રેક અને માર્ગો પાર કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં અકસ્માતની સંભાવનાઓને ધ્યાનમાં રાખી સંવેદનશીલ સ્થળોએ વિશેષ અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવાયો હતો, ભાવનગર મંડળ દ્વારા ઢસા-રાજુલા અને રાજુલા-પીપાવાવ રેલમાર્ગ પર પાંચ સ્થળોની ઓળખ કરવામાં આવી હતી. તેમાં બે સ્થળોએ અંડરપાસનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે જ્યારે બાકીના ત્રણ સ્થળોએ કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. લગભગ રૂ. 9.42 કરોડના ખર્ચે અમલમાં મૂકાયેલી આ યોજના હેઠળ સિંહો, દીપડા, નીલગાય, ચીતલ સહિતના અન્ય વન્યજીવોને રેલવે ટ્રેકની નીચેથી સુરક્ષિત રીતે પસાર થવાનો માર્ગ મળશે. વન્યજીવોના સંરક્ષણ સાથે રેલવે સંચાલનની સલામતી જાળવવાનો પણ આ યોજનાનો મુખ્ય હેતુ છે. અંડરપાસ કાર્યરત થતાં ટ્રેન અને વન્યજીવો વચ્ચે અથડામણની સંભાવના ઘટશે તેમજ ક્કશૂન્ય અકસ્માતક્રના લક્ષ્યને સિદ્ધ કરવામાં મદદ મળશે. ગીર વિસ્તારમાં વન્યજીવોના વધતા સંચરણને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા અપનાવવામાં આવેલી આ પહેલને દેશભરમાં એક મોડેલ પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહી છે. ભાવનગર મંડળના અધિકારીઓના જણાવ્યા મુજબ પર્યાવરણ સંરક્ષણ અને આધુનિક વિકાસ વચ્ચે સંતુલન જાળવવાની દિશામાં આ યોજના મહત્વપૂર્ણ સાબિત થશે. રેલવે, વન વિભાગ અને સ્થાનિક તંત્રના સંકલિત પ્રયાસોથી ગીરના સિંહોને વધુ સુરક્ષિત પરિસ્થિતિ ઉપલબ્ધ બનશે અને વન્યજીવ સંરક્ષણના પ્રયાસોને નવી મજબૂતી મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: