સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા અપનાવવામાં આવેલા માનવકેન્દ્રિત અને સમાજહિતલક્ષી અભિગમથી મહિલાઓને આત્મનિર્ભર બનવાની નવી દિશા મળી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટમાં હાલ કુલ ૯૦૬ કર્મચારીઓ સેવા આપી રહ્યા છે, જેમાંથી ૨૬૨ મહિલાઓ છે. આ આંકડો માત્ર સંખ્યા નથી, પરંતુ ટ્રસ્ટની સમાવેશક વિચારધારા અને સમાન અવસરની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મંદિર સંચાલન, સેવાકીય કામગીરી અને દૈનિક વ્યવસ્થામાં મહિલાઓની સક્રિય ભાગીદારીથી કાર્યપ્રણાલીમાં સંવેદનશીલતા, શિસ્ત અને સમર્પણનો અનોખો સંગમ જોવા મળે છે.
કામગીરીમાં 65 મહિલાઓની ભાગીદારી છે
મંદિર પરિસરમાં આવેલું પવિત્ર બિલ્વ વન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંભાળવામાં આવે છે, તે વિશેષ ગૌરવની બાબત છે. અહીં કાર્યરત ૧૬ મહિલાઓ પર્યાવરણ સંરક્ષણ, હરિત સંવર્ધન અને સ્વચ્છતા સાથે મંદિરની પવિત્રતાને જાળવી રાખી રહી છે. આ વ્યવસ્થા મહિલાઓના કુશળ સંચાલન અને જવાબદારીભાવનું ઉત્તમ ઉદાહરણ બની છે. આ ઉપરાંત, મંદિરના ભોજનાલયમાં ૩૦ મહિલાઓ દ્વારા નિષ્ઠાપૂર્વક સેવા આપવામાં આવી રહી છે. હજારો શ્રદ્ધાળુઓને પ્રેમ અને સેવાભાવથી ભોજન પીરસતી આ મહિલાઓ મંદિરની માનવસેવી પરંપરાને જીવંત રાખે છે. પ્રસાદ વિતરણ જેવી પવિત્ર અને વિશ્વાસભરેલી કામગીરીમાં ૬૫ મહિલાઓની ભાગીદારી તેમની શિસ્ત, સમર્પણ અને વિશ્વસનીયતાને દર્શાવે છે.













