ગીર સોમનાથ જિલ્લાના હવામાનમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. પ્રખ્યાત યાત્રાધામ તુલસીશ્યામ મંદિર તેમજ તેની આસપાસના ગીરના જંગલ વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અચાનક વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓએ પણ ગરમીથી રાહત અનુભવી હતી.
અસહ્ય ગરમી વચ્ચે મળ્યો વિરામ
સમગ્ર રાજ્યમાં જ્યારે પારો 40 ડિગ્રીને પાર કરી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથના આ પંથકમાં કમોસમી વરસાદના ઝાપટાં પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આકાશ વાદળછાયું રહેતા અને ઠંડા પવન ફૂંકાતા લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે.
