પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગોધરાના ઐતિહાસિક આનંદ ગણેશ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ દિવસથી પાર્થેશ્વર મહાદેવની વિશેષ પૂજાનું આયોજન કરાઈ રહ્યું છે, જેમાં દરરોજ મોટી સંખ્યામાં શિવભક્તો શ્રદ્ધાભેર જોડાઈ રહ્યા છે.

શિવપુરાણમાં પણ માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માટીના શિવલિંગ બનાવી પૂજા-અર્ચના કરી હોવાની માન્યતા જોવા મળે છે. શ્રાવણ માસ દરમિયાન માતા પાર્વતીએ માટીના શિવલિંગની આરાધના કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા તેવી ધાર્મિક માન્યતાને અનુસરી આજે પણ શિવભક્તો પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી ધન્યતા અનુભવે છે. સપ્તાહના દરેક દિવસે અલગ-અલગ યંત્રના સ્વરૂપમાં માટીના શિવલિંગની રચના કરી પૂજા કરવામાં આવે છે. સોમવારે નાગપાશ યંત્ર, મંગળવારે ત્રિકોણ યંત્ર, બુધવારે કૂર્મ યંત્ર, ગુરુવારે લંબચોરસ યંત્ર, શુક્રવારે ષટ્કોણ યંત્ર, શનિવારે ધનુષ યંત્ર અને રવિવારે સૂર્ય યંત્રના સ્વરૂપે પાર્થેશ્વર મહાદેવની પૂજા

કરાય છે.

આ વિશિષ્ટ ધાર્મિક આયોજનમાં મહારાજ વસંતભાઈ શાસ્ત્રી તથા હાર્દિકભાઈ શાસ્ત્રી, પ્રશાંતભાઈ શાસ્ત્રી, દર્શનભાઈ શાસ્ત્રી અને યશભાઈ શાસ્ત્રી સહિતની ટીમ દ્વારા રોજ અંદાજે 4,500થી વધુ માટીના શિવલિંગના બાણ તૈયાર કરાય છે. શ્રાવણ માસ દરમિયાન સવા લાખથી વધુ માટીના શિવલિંગ બનાવી તેની વિધિવત પૂજા કરાય છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો