પંચમહાલ જિલ્લા પંચાયતના પશુપાલન શાખા સંચાલિત કાલોલ પશુ દવાખાના દ્વારા આજે કાલોલ તાલુકાના કરોલી ખાતે પશુ આરોગ્ય મેળા અંતર્ગત પશુ રોગ નિદાન, સારવાર અને શસ્ત્રક્રિયા કેમ્પ યોજાયો હતો. આ પશુ આરોગ્ય મેળાનું ઉદઘાટન પંચમહાલ સાંસદ રાજપાલસિંહજી જાદવ અને પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજભાઈ પટેલના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ગૌપૂજન કરીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી.

કેમ્પ દરમિયાન પશુઓ માટે તમામ સેવાઓ તદ્દન વિનામૂલ્યે પૂરી પડાઈ હતી. જેમાં તમામ પશુઓ માટે વિનામૂલ્યે રસીકરણ અને વિવિધ રોગોની સચોટ સારવાર અપાઈ છે, વેતરે આવેલા પશુઓ માટે કૃત્રિમ બીજદાન તેમજ વારંવાર ઉથલા મારતી ગાય અને ભેંસ માટે જાતીય આરોગ્યની વિશેષ સારવાર કરાઈ છે, જે પશુઓની ઓનલાઈન નોંધણી બાકી હોય, તેમનું ભારત પશુધન પોર્ટલ પર વિનામૂલ્યે રજીસ્ટ્રેશન કરાવાય છે.

ગાય, ભેંસ, ઘેટાં અને બકરાં જેવા પશુઓ માટે કૃમિનાશક દવાઓનું વિનામૂલ્યે વિતરણ અને ડોઝ પીવડાવવાની કામગીરી ઉપરાંત તણછ, હોર્ન કેન્સર અને રસોળી વગેરે જેવા રોગો માટે વિનામૂલ્યે સર્જીકલ ઓપરેશન તેમજ નર વાછરડાઓ માટે ખસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. આ કેમ્પમાં નાયબ પશુપાલન નિયામક ડૉ. એન. એ. પટેલ તથા પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રુચિત પટેલ સહિત અન્ય પશુ ચિકિત્સા અધિકારીઓ અને પશુધન નિરીક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો