ગોધરા શહેરમાં આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતું ઉતરાયણ પર્વ નજીક આવતા પતંગ બજારોમાં રોનક જોવા મળી રહી છે. ઉતરાયણને હવે ગણતરીના કલાકો જ બાકી રહેતા ગોધરા શહેરના વિવિધ પતંગ બજારોમાં અંતિમ તબક્કાની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
ઉતરાયણ પૂર્વેના શરૂઆતના દિવસોમાં બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. પતંગો અને દોરીની વેચાણમાં અપેક્ષિત ઉછાળો ના આવતાં અનેક વેપારીઓમાં નિરાશા ફેલાઈ હતી. પરંતુ અંતિમ દિવસોમાં ઘરાકી નીકળતા વેપારીઓના ચહેરા પર ફરી સ્મિત જોવા મળ્યું છે. ગોધરા શહેરના રામસાગર તળાવની આસપાસ આવેલ પતંગ અને દોરીની દુકાનો પર મોડીરાત સુધી ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. નાના બાળકો, યુવાનો તેમજ પરિવાર સાથે આવેલા લોકો પતંગ, દોરી અને માંજાની ખરીદીમાં વ્યસ્ત નજરે પડયા હતા. ખાસ કરીને રંગબેરંગી પતંગો અને મજબૂત દોરી માટે ગ્રાહકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ અને દોરીની સાથે સાથે પીપુડા અને ચશ્માની ખરીદી માટે બજારમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. ગોધરા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટી પડયા હતા. જેના કારણે ટ્રાફ્કિ જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ટ્રાફ્કિ પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
ઓપરેશન સિંદુરની પતંગોની આકર્ષણ
આ વર્ષે બજારમાં વિવિધ જાતની પતંગો ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. દેશભક્તિના ભાવને ઉજાગર કરતી ઓપરેશન સિંદુર અને રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણ વાળી પતંગો લોકોમાં ખાસ લોકપ્રિય બની છે. દેશપ્રેમની લાગણી સાથે ઉતરાયણ ઉજવવા ઇચ્છતા લોકો આવા વિશેષ પતંગોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ઉતરાયણના માહોલને રંગીન બનાવતા વિવિધ ડિઝાઇનના પીપુડા અને સ્ટાઇલિશ ચશ્મા પણ લોકોની પસંદ બની રહ્યા છે.
દાહોદ જિલ્લામાં પતંગ પર્વ ઉત્તરાયણનું કાઉન્ટ ડાઉન શરૂ
દાહોદ : દાહોદ શહેર તથા જીલ્લામાં ઉતરાયણની ઉજવણીનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયુ છે. પતંગ બજારમાં ભીડ જામી રહી છે. જો કે હવે પતંગોત્સવ એક દિવસ પુરતો જ સિમિત થઈ ગયો છે. એક પ્રકારે હવે આ તહેવાર પણ પાર્ટી ટાઈમ જ બની રહ્યો હોય તેમ કહી શકાય છે. દાહોદમાં ઠેર ઠેર પતંગ,દોરી અને માંજાની હાટડીઓ મંડાઇ ગઈ છે. નાના મોટા, રંગબેરંગી પતંગોનું વેચાણ ચાલી રહ્યુ છે. સાથે જ ટોપીઓ,રંગીન ગોગલ્સ અને પીપુડાનું બજાર પણ મંડાઇ ગયુ છે. ઉંધિયુ, જલેબી, લીલવાની કચોરી અને ફાફ્ડાની જયાફ્ત માણવાની પણ પરંપરાને પગલે ફ્રસાણની દુકાનો ઉપરાંત હંગામી દુકાનોના ટેન્ટ પણ ઉભા કરી દેવાયા છે. ઉત્તરાયણમાં દાન ધર્માદાની પરંપરા આજે પણ જળવાયેલી હોવાથી ગૌશાળાઓમાં ગાયોને ઘાસ ખવડાવવા અને ગરીબોને વસ્ત્ર્રો અને અનાજનું દાન કરાશે. આ વખતે પવનની ગતિ સારી હોવાની આગાહી કરાઈ હોવાથી રંગત જામશે તેમ લાગી રહ્યુ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો