ગોંડલ પંથકમાં આજે વહેલી સવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે, જેમાં બગદાણા બાપા સિતારામના દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા યાત્રિકોની બસને નજર લાગી ગઈ હોય તેમ પલટી મારી ગઈ હતી. ગોંડલથી ગઈકાલે સવારે 4:00 વાગ્યે મામાદેવના મંદિર પાસેથી દર્શનાર્થીઓ ખાનગી બસ ભાડે કરીને બગદાણા જવા નીકળ્યા હતા. આજે સવારે આ તમામ મુસાફરો પરત ગોંડલ આવી રહ્યા હતા, ત્યારે ગોંડલ નજીક આવેલા વોરાકોટડા રોડ પાસે બસના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા બસ જોરદાર પલટી મારી ગઈ હતી.

બે મહિલાઓના કમકમાટીભર્યા મોત

બસ પલટી મારતાની સાથે જ અંદર બેઠેલા મુસાફરોમાં ભારે કીકિયારીઓ અને ચીસાચીસ મચી ગઈ હતી. બસ આખી ઊંધી વળી જતાં અંદર બેઠેલી બે મહિલાઓ બસની નીચે દબાઈ ગઈ હતી, જેના કારણે તેમના શ્વાસ રુંધાવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં અન્ય ૨૨ જેટલા શ્રદ્ધાળુઓ નાની-મોટી ઈજાઓ તેમજ ફેક્ચર થવાના કારણે લોહીલુહાણ થઈ ગયા હતા. અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કાચ તોડીને લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી

ઘટનાની જાણ થતાં જ ગોંડલ પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રનો કાફલો તેમજ ૧૦૮ એમ્બ્યુલન્સની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તંત્ર દ્વારા ક્રેનની મદદથી બસને સીધી કરવામાં આવી હતી અને નીચે દબાયેલા લોકોને મુક્ત કરાયા હતા. તમામ ૨૨ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગોંડલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. જે પરિવારોના સ્વજનો દર્શન કરીને પાછા આવવાના હતા, તેમના મોતના સમાચાર મળતા જ ગોંડલમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને હોસ્પિટલ પરિસરમાં સગા-સંબંધીઓના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.

આ પણ વાંચો: Vadodara: છાણી વિસ્તારમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું