ગુજરાતમાં શિક્ષણ વિભાગના સૌથી મોટા ઉત્સવ એવા 'શાળા પ્રવેશોત્સવ'ને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે શાળા પ્રવેશોત્સવ તેની નિયત સમય-રૂપરેખા અને પૂર્વનિર્ધારિત આયોજન પ્રમાણે જ યોજાશે, જેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકારે આ શૈક્ષણિક અભિયાનને આગળ ધપાવવા માટે સત્તાવાર મંજૂરી આપી દીધી છે, જેને પગલે વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગ તૈયારીઓમાં જોતરાઈ ગયું છે.
પદાધિકારીઓ શાળાઓની મુલાકાત લેશે
પ્રવેશોત્સવ દરમિયાન નિયુક્ત કરાયેલા તમામ સરકારી પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ નક્કી કરાયેલા રૂટ મુજબ શાળાઓની રૂબરૂ મુલાકાત લેશે. આ આયોજન હેઠળ દરેક પદાધિકારીએ ફરજિયાતપણે એક પ્રાથમિક શાળા તેમજ બે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની મુલાકાત લઈને શૈક્ષણિક સ્તર અને સુવિધાઓનું નિરીક્ષણ કરવાનું રહેશે. આ મુલાકાતનો મુખ્ય હેતુ છેવાડાના બાળકો સુધી શિક્ષણનો વ્યાપ વધારવાનો છે.
