તરખંડા : હાલોલ તાલુકાના તરખંડા ગામેથી પ્રથમ વાર પૂજ્ય રામદેવપીરના ધામ રણુજા (રામદેવરા) જવા માટે ભવ્ય પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું છે. યાત્રાના પ્રસ્થાન પૂર્વે ગામમાં ભગવાન રામદેવપીરની વિશેષ પૂજા-અર્ચના અને આરતી કરાઈ હતી. ત્યારબાદ જય બાબારી અને રામાપીર કી જયના ગગનભેદી નારાઓ સાથે પદયાત્રીઓ રણુજા જવા રવાના થયા હતા. યાત્રા સંઘમાં ગામના અબાલ-વૃદ્ધ સૌ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. પદયાત્રીઓના સ્વાગત અને વિદાય માટે ગ્રામજનો તેમજ આજુબાજુના વિસ્તારના શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા અને ભાવિકોને મંગલમય યાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. યાત્રા સંઘના આયોજક ગોપાલભાઈ ચાવડા જણાવ્યા અનુસાર, પદયાત્રીઓ 900 કિ.મી.નું અંતર કાપીને 16 માં દિવસે રાજસ્થાન સ્થિત પવિત્ર યાત્રાધામ રામદેવરા પહોંચશે, જ્યાં તેઓ ભગવાન રામદેવપીર ના ચરણોમાં શીશ ઝુકાવી ગ્રામજનોની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.
