હળવદ તાલુકાના માલણીયાદ ગામ નજીકથી પસાર થતી માળિયા બ્રાન્ચ કેનાલ અને નાળાના સમારકામમાં ગેરરીતિ થતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠયા છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે આ આક્ષેપો કોઈ વિપક્ષી નેતા નહીં પરંતુ માલણીયાદ તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા ભાજપના તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ કણજારીયા દ્વારા કરવામાં આવ્યા છે. તેમણે સમગ્ર મામલે ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

હળવદ પંથકમાં થોડા દિવસો પહેલાં ખાબકેલા ભારે વરસાદના કારણે નવા માલણીયાદ અને જૂના માલણીયાદ વચ્ચે આવેલી માળિયા બ્રાન્ચ કેનાલને વ્યાપક નુકસાન થયું હતું. હાલ સૌરાષ્ટ્ર શાખા નર્મદા વિભાગ દ્વારા કેનાલના નુકસાનગ્રસ્ત ભાગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

જોકે, આ કામગીરીમાં ટેન્ડરની શરતો અને ગુણવત્તાના ધોરણોનું પાલન થતું ન હોવાનો આક્ષેપ તાલુકા પંચાયત સદસ્યે કર્યો છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ સમારકામમાં ટેન્ડર મુજબ જરૂરી પ્રમાણમાં પથ્થર, રેતી અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવતો નથી તેમજ કામગીરીમાં ગુણવત્તા સાથે બાંધછોડ થતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

સરકારી નાણાંથી થતી કામગીરીમાં જો હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું હોય તો ભવિષ્યમાં ફરી કેનાલને નુકસાન થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.માળિયા બ્રાન્ચ કેનાલનો આ માર્ગ આસપાસના 10થી વધુ ગામોના ખેડૂતો અને વાહનચાલકો માટે મહત્વનો અવરજવરનો માર્ગ છે. સમારકામની કામગીરી અંગે ખેડૂતો અને વાહનચાલકો દ્વારા તાલુકા પંચાયત સદસ્યને રજૂઆત કરવામાં આવતા તેમણે મામલાને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધિકારીઓ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. તાલુકા પંચાયત સદસ્ય મનસુખભાઈ કણજારીયાએ સમારકામની કામગીરીની તટસ્થ તપાસ કરાવી ટેન્ડરની શરતો મુજબ જ કામ થાય છે કે નહીં તેની ચકાસણી કરવા તેમજ જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો