હિંમતનગર : ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લક્ષ્મીપુરા ચોકડી નજીક સાતેક દિવસ અગાઉ કારચાલકે બાઇકને ટક્કર મારતાં ગંભીર ઇજાને કારણે તેનું મોત થયાની ફરિયાદ શુક્રવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી. આ અંગે ખેડબ્રહ્માના ઇન્દીરાનગર વિસ્તારમાં રહેતા ભારાનાથ સમજુનાથ મદારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત તા.4મી જુલાઇના રોજ લક્ષ્મીપુરા ચોકડી નજીકથી પસાર થઇ રહેલ કાર નં.જીજે.07.ડીએફ.4994ના ચાલકે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી લાવી ભારાનાથ સમજુનાથ મદારીના બાઇક નં.જીજે.09.સીટી.7168ને આગળના ભાગે ટક્કર મારતાં અકસ્માત થયો હતો. જેના લીધે બાઇક પર બેઠેલ વિષ્ણુનાથ ધનાનાથ મદારીને શરીરે ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં તેમનું મોત નિપજયું હતુ. જેથી ભારાનાથ મદારીએ અકસ્માત કરનાર કારના ચાલક વિરૂધ્ધ શુક્રવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
