હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આવેલ એન.જી.સર્કલ પર રોજબરોજ વાહનોની વધુ અવરજવરને કારણે અકસ્માત ન થાય તે માટે સ્થાનિક રહીશોએ છેલ્લા 3 વર્ષથી વાહન ચાલકોની ગતિ નિયંત્રિત કરવા બમ્પ બનાવવા માટે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરાઈ હતી. આ અંગેની વિગત એવી છે કે, મહેતાપુરા વિસ્તારમાં આવેલ એન.જી.સર્કલ પર થઈને ઈડર તથા વિજાપુર જતા વાહનોનો ધસારો વધુ રહે છે જેથી ગમે ત્યારે અકસ્માત થવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે ત્યારે વર્ષ 2023માં ગુલાબસિંહ નારસિંહ રાઠોડે હિંમતનગર નગરપાલિકા પ્રમુખને લેખીત રજૂઆત કરવામાં આવી હતી તે સંદર્ભમાં તેઓએ તરતજ પત્ર લખીને માર્ગ અને મકાન વિભાગના ઈજનેરને બમ્પ બનાવવા માટે ભલામણ કરી હતી. તેમ છતાં અગમ્ય કારણોસર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રજુઆતને ધ્યાને લેવામાં આવી નથી. જેથી કંટાળીને શાંતિઉપવન સોસાયટીમાં રહેતા રહીશોએ સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયાને લેખિત રજુઆત કરીને સત્વરે બમ્પ બનાવવાની માંગ દોહરાવી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
