સાબરકાંઠા જિલ્લાના વડાલી ધરતી પરથી ઊભેલો નવીન વિચાર હવે વૈશ્વિક મંચ સુધી પહોંચ્યો છે. વાયુવા ટ્રસ્ટના એ.આઈ પાઠશાળાની દિલ્હી ખાતે યોજાઈ રહેલ AI ઈમ્પેક્ટ સમિટમાં પસંદગી થતાં આ વડાલીના વાયુવા ટ્રસ્ટ પાઠશાળાને બે સ્ટોલ ફાળવવામાં આવ્યા છે જે સાબરકાંઠા સહિત ગુજરાત માટે ગૌરવ સમાન છે.


આ અંગેની વિગત એવી છે કે, દિલ્હીના ભારત મંડપમ ખાતે તા.16થી 20 ફેબ્રુઆરી દરમિયાન આંતરરાષ્ટ્રીય કક્ષાની AI સમિટ પ્રગતિ મેદાનમાં ચાલી રહી છે ત્યારે તેમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતે આવેલ વાયુવા ટ્રસ્ટની પસંદગી કરાઈ છે. એટલું જ નહી પણ આ આંતરરાષ્ટ્રીય કક્ષાની સમિટમાં વાયુવા ટ્રસ્ટને 3 અને 6 નંબરના સ્ટોલની ફાળવણી કરાઈ છે. જેથી આ સ્ટોલના માધ્યમથી વાયુવા ટ્રસ્ટની કામગીરી દર્શાવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2021 શરૂ કરાયેલ આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ફર્સ્ટ પર્સનલીઝેડ એજ્યુકેશન સિસ્ટમ AI પાઠશાળા તરીકે ઓળખાય છે. સંસ્કાર, કૌશલ્ય અને આર્ટિફિશ્યિલ ઇન્ટેલીજન્સ આધારિત શિક્ષણ દ્વારા ભવિષ્યની પેઢીને તૈયાર કરવાની દિશામાં કાર્યરત છે. આ વિચારની પ્રેરણા વડાલી વાસણાના કનુભાઈ પટેલને આવી હતી અને તેમના પ્રયાસોથી જ થોડાં વર્ષો પહેલા વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશનની સ્થાપના થઈ હતી. જે અંતર્ગત વાયુવા ટ્રસ્ટ થકી શિક્ષણ અને સામાજિક જાગૃત્તિ ક્ષેત્રે સક્રિય રીતે જોડાયેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી વડાલી અને ઇડર તાલુકામાં માર્ર્ગદશન સેમિનાર, યુવાનો માટે ચર્ચાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા યુવાનોને નવી દિશા આપવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સિદ્ધિએ સ્પષ્ટ સંદેશ આપે છે કે, મજબૂત વિચાર અને સ્પષ્ટ દ્રષ્ટિ હોય તો ગ્રામ્ય વિસ્તારથી પણ વૈશ્વિક મંચ સુધી પહોંચવું શક્ય છે. સાબરકાંઠા માટે આ ગૌરવ ક્ષણ અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની છે અને ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે નવી કાંતિ લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: