વિજયનગર તાલુકાના વજેપુરના એક હવસખોરે અઢી વર્ષ અગાઉ 11 વર્ષની સગીરાને એકાંત સ્થળે લઈ જઈ દુષ્કર્મ કર્યું હોવાની વિગતો જાહેર થયા બાદ સગીરાના વાલી-વારસોએ તત્કાલિન સમયે વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે તપાસને અંતે ચાર્જશીટ ઈડર કોર્ટમાં રજૂ કરી હતી જેની અંતિમ સુનાવણી શુક્રવારે ઈડર કોર્ટમાં થતાં ન્યાયાધિશે વજેપુરના આ હવસખોરને દોષિત ઠરાવી 20 વર્ષની સજા અને સગીરાને વળતર પેટે રૂ.1 લાખ ચુકવી આપવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ગત તા.11 જાન્યુઆરી 2024ના રોજ સાંજના સુમારે વજેપુર ગામની એક સગીરા કુદરતી હાજત માટે વાંઘામાં ગઈ હતી ત્યારે ગામમાં રહેતો ચંદ્રકાંત અમરતભાઈ કટારાએ આ સગીરાને ખુલ્લા ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું તેમ છતાં સગીરાએ ઘરમાં કોઈને કહયું ન હતું પરંતુ સગીરાની દાદીએ લોહીવાળા કપડા જોઈએ તરત જ આ સગીરાને હકિકત રજુ કરવા માટે કહયું હતું. ત્યારબાદ સગીરાએ પરિવારજનોને હકિકતથી વાકેફ કર્યા બાદ તરત જ વાલી-વારસોએ ચંદ્રકાંત કટારા વિરૂધ્ધ તત્કાલિન સમયે વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ થયા બાદ પોલીસે ઈડર કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી.

જેની સુનાવણી શુક્રવારે પોકસો જજ એમ.વાય.રાધનપુરવાલા સમક્ષ થતાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી ન્યાયાધિશે ચંદ્રકાંત કટારાને દોષિત જાહેર કર્યો હતો અને 20 વર્ષની સખ્ત કેદની સજા કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો