સાબરકાંઠા જિલ્લામાં અસહ્ય ગરમીની સાથે હવે ખેડૂતો માટે અગ્નિદેવ પણ પડકાર બનીને આવ્યા છે. હિંમતનગર તાલુકાના બેરણા ગામે વીજ તણખલાને કારણે ઘઉંના તૈયાર પાકમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ખેતરમાં લહેરાતો સોના જેવો ઘઉંનો પાક ગણતરીની મિનિટોમાં બળીને ખાખ થઈ જતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
વીજ તણખલાએ વેર્યો વિનાશ
ઘટનાની મળતી માહિતી મુજબ, બેરણા ગામના ખેડૂત સાગર નટવરભાઈ પટેલના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો અને તેની લણણી કરવાની બાકી હતી. આ દરમિયાન, ખેતર પરથી પસાર થતી વીજ લાઈનમાંથી અચાનક તણખલા ઝર્યા હતા. સૂકા ઘઉંના પાકમાં આ તણખલા પડતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આગ આખા ખેતરમાં પ્રસરી ગઈ હતી અને તૈયાર પાકને લપેટમાં લઈ લીધો હતો.
ખેડૂતોની જહેમત છતાં પાક ખાખ
આગ લાગતા જ આસપાસના ખેડૂતો અને ગ્રામજનો દોડી આવ્યા હતા. એક તરફ આકાશમાંથી અસહ્ય ગરમી વરસી રહી હતી અને બીજી તરફ ખેતરમાં લાગેલી આગને કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. સ્થાનિક ખેડૂતોએ પાણી અને અન્ય સંસાધનો વડે આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ પવન અને ગરમીને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. અંતે, સાગરભાઈનો લાખોની કિંમતનો તૈયાર ઘઉંનો પાક બળીને રાખ થઈ ગયો હતો.
જગતના તાતની મહેનત એળે ગઈ
ખેડૂતે આખું વર્ષ જે પાક માટે પરસેવો પાડ્યો હતો, તે લણણીના ટાણે જ નષ્ટ થઈ જતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક તરફ ગરમીમાં પાક બચાવવો મુશ્કેલ છે, ત્યારે બીજી તરફ આવી આકસ્મિક આગની ઘટનાઓએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. પીડિત ખેડૂતે સરકાર પાસે યોગ્ય વળતરની માંગ કરી છે.
આ પણ વાંચો - Sabarkantha : ઈડરના ગંભીરપુરા નજીક ડુંગર ઉપર લાગી ભીષણ આગ, હાઈવે રસ્તા સહિતના વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા છવાયા