સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાએ જોર પકડતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલાસણા રોડ પર આવેલા વિનાયક પેટ્રોલ પંપ સહિત અન્ય પંપો પર વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, લોકો માત્ર વાહનો જ નહીં પરંતુ મોટા પ્લાસ્ટિકના કેરબા અને ટીન લઈને પણ ઈંધણ ભરાવવા પહોંચ્યા હતા. "આજે નહીં મળે તો કાલે શું?" તેવા ડર અને ચિંતાને કારણે લોકોમાં ભારે ઉતાવળ જોવા મળી હતી. તેમજ સીએનજી પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ હતી.
લોકો કેરબા લઇને પેટ્રોલ લેવા માટે પહોંચ્યા
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે. ખુલ્લેઆમ કેરબાઓમાં પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવી રહ્યું છે. વાહનોને મર્યાદિત પુરવઠો આપવાની જગ્યાએ કેરબાઓમાં મોટા પાયે ઈંધણનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અફવાઓએ હકીકત કરતા વધુ ભયનો માહોલ ઉભો કર્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.
