સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાએ જોર પકડતા ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલાસણા રોડ પર આવેલા વિનાયક પેટ્રોલ પંપ સહિત અન્ય પંપો પર વહેલી સવારથી જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, લોકો માત્ર વાહનો જ નહીં પરંતુ મોટા પ્લાસ્ટિકના કેરબા અને ટીન લઈને પણ ઈંધણ ભરાવવા પહોંચ્યા હતા. "આજે નહીં મળે તો કાલે શું?" તેવા ડર અને ચિંતાને કારણે લોકોમાં ભારે ઉતાવળ જોવા મળી હતી. તેમજ સીએનજી પંપો પર પણ વાહનોની લાંબી લાઈનો દ્રશ્યમાન થઈ હતી.

લોકો કેરબા લઇને પેટ્રોલ લેવા માટે પહોંચ્યા

આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચિંતાજનક બાબત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે. ખુલ્લેઆમ કેરબાઓમાં પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવી રહ્યું છે. વાહનોને મર્યાદિત પુરવઠો આપવાની જગ્યાએ કેરબાઓમાં મોટા પાયે ઈંધણનું વેચાણ થતું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અફવાઓએ હકીકત કરતા વધુ ભયનો માહોલ ઉભો કર્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. 

વાહનોની સાથે કેરબાની લાઇનો પણ જોવા મળી

તંત્રની નજર સામે જ ગેરકાયદેસર રીતે કેરબાઓમાં ઈંધણનું વેચાણ થતું હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, નિયમ વિરુદ્ધ કેરબામાં પેટ્રોલ આપનારા પંપ સંચાલકો સામે વહીવટી તંત્ર કેવા પ્રકારના પગલાં ભરે છે. આવી પરિસ્થિતિમાં અફવાઓથી બચવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઈંધણ લેવા સમજદાર નાગરિકો અપીલ કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો