જેતપુરના વીરપુર રેલવે સ્ટેશને આજે મુસાફરોનો રોષ ફાટી નીકળ્યો હતો. રાજકોટ-સોમનાથ ટ્રેનમાં દરરોજ અપડાઉન કરતા મુસાફરોએ ટ્રેનના અનિયમિત સમય અને સુવિધાઓના અભાવે રેલવે પાટા પર બેસી જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હોબાળાને કારણે ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી સ્ટેશન પર જ થંભી ગઈ હતી. મુસાફરોનો આક્ષેપ છે કે રાજકોટ-સોમનાથ ટ્રેન વારંવાર એકથી બે કલાક મોડી આવે છે. રેલવે દ્વારા કરવામાં આવતા ટ્રેન ક્રોસિંગને કારણે અપડાઉન કરતા નોકરિયાત વર્ગ અને મુસાફરો પોતાના નિર્ધારિત સ્થળે સમયસર પહોંચી શકતા નથી.
ટ્રેન મોડી આવતા મુસાફરોએ કર્યો હોબાળો
વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે તંત્ર દ્વારા સમયપાલન બાબતે કોઈ ઠોસ પગલાં લેવામાં ન આવતા આજે મુસાફરોએ આક્રમક વલણ અપનાવ્યું હતું. વિરોધનું અન્ય એક મુખ્ય કારણ ટ્રેનના કોચમાં કરવામાં આવેલો ઘટાડો છે. મુસાફરોએ જણાવ્યું હતું કે, રેલવે વિભાગ દ્વારા કોચની સંખ્યા ઘટાડી દેવામાં આવતા ટ્રેનમાં ભારે ભીડ અને ટ્રાફિક સર્જાય છે. મુસાફરોને બેસવાની તો દૂર, ઉભા રહેવાની પણ જગ્યા મળતી નથી, જેના કારણે મહિલાઓ અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડે છે.
