એશિયાટિક સિંહોના એકમાત્ર ઘર ગણાતા ગીરના જંગલમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત આનંદના સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢના ગીર જંગલની બાબરીયા રેન્જમાંથી અગાઉ પકડાયેલા અને એનિમલ કેર સેન્ટરમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવેલા 7 સિંહોને વન વિભાગ દ્વારા ફરીથી જંગલમાં મુક્ત કરી દેવામાં આવ્યા છે. વન વિભાગના તબીબોની દેખરેખ હેઠળ આ તમામ સિંહોની સફળ સારવાર પૂર્ણ થતાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીમારીના કારણે સિંહોને સારવાર માટે લવાયા હતા
મળતી માહિતી મુજબ, ગીર પૂર્વ અથવા પશ્ચિમની બાબરીયા રેન્જ વિસ્તારમાંથી થોડા સમય પહેલા આ સિંહોને બીમારી ના ભાગરૂપે વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરીને પકડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાસ આઇસોલેશન વોર્ડમાં રાખીને સઘન સારવાર આપવામાં આવી રહી હતી.
બાબરીયા રેન્જમાં છોડી મુકાયા
હવે જ્યારે આ સાતેય સિંહો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને જંગલના વાતાવરણમાં શિકાર કરવા તેમજ રહેવા માટે સક્ષમ જણાતા, વન વિભાગે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી એ જ બાબરીયા રેન્જના મુક્ત વાતાવરણમાં છોડી દીધા છે. પોતાના કુદરતી આવાસમાં પરત ફરતા જ સિંહોની દહાડથી ગીરનું જંગલ ફરી ગુંજી ઉઠ્યું છે.
હજું પણ 3 સિંહ ઓબ્ઝર્વેશનમાં
બીજી તરફ, વન વિભાગના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર, હજુ પણ 3 સિંહોને વન વિભાગના એનિમલ કેર સેન્ટર ખાતે ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ત્રણેય સિંહોના સ્વાસ્થ્ય પર પણ નિષ્ણાત તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે. આગામી દિવસોમાં તેમનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ અને તેઓ સંપૂર્ણ ફિટ જણાશે એટલે તેમને પણ ગીરના મુક્ત જંગલમાં છોડી મૂકવામાં આવશે. વન વિભાગની આ ત્વરિત અને સફળ કામગીરીની વન્યજીવ પ્રેમીઓ દ્વારા ભારે પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live : ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી