જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની છે. આ વર્ષે ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે મગફળી અને સોયાબીન જેવા પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા. ખેડૂતોને આશા હતી કે રવિ સીઝનમાં સારી કમાણી કરીને નુકસાનની ભરપાઈ કરશે, પરંતુ હવે રવિ પાક પર પણ ભેદી રોગચાળાએ આક્રમણ કર્યું છે.


પાક સુકાઈ રહ્યો છે, દવાઓ બેઅસર

મેંદરડા પંથકમાં ચણા, ધાણા અને ડુંગળી જેવા મુખ્ય પાકોમાં બે પાણ પાયા બાદ અચાનક રોગચાળો ફાટી નીકળ્યો છે. ખેડૂતોએ દેવું કરીને મોંઘા ભાવના બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો છે, તેમ છતાં પાક સતત સુકાઈ રહ્યો છે. વાતાવરણમાં આવતા સતત પલટાને કારણે ઘઉં અને ચણામાં રોગનું પ્રમાણ વધ્યું છે, જેનાથી ખેડૂતોની મહેનત પાણીમાં જતી દેખાઈ રહી છે.

સરકાર પાસે તાકીદની માંગણી

ભારે આર્થિક નુકસાન વેઠી રહેલા મેંદરડાના ખેડૂતોએ સરકાર સમક્ષ આક્રમક માંગણી કરી છે. તાત્કાલિક ધોરણે નિષ્ણાંતોને મેદાનમાં ઉતારી રોગનું સચોટ નિદાન કરવામાં આવે. ખેડૂતોને રાહત દરે દવાઓ અને આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે.

દેવાના ડુંગર નીચે દબાતો ધરતીપુત્ર

એક તરફ પાક બચાવવા માટે લાખોનો ખર્ચ અને બીજી તરફ સતત નિષ્ફળ જતી મહેનતને કારણે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. જો સરકાર દ્વારા સમયસર સર્વે કરી સહાય જાહેર કરવામાં નહીં આવે, તો મેંદરડાના ધરતીપુત્રો માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ બની જશે.

આ પણ વાંચોઃ Surat: SOGનો માસ્ટરસ્ટ્રોક, 5.85 કરોડના કોબ્રા ઝેર સાથે વકીલ સહિત 7 શખ્સો ઝડપાયા


  • Follow us on: