જુનાગઢ શહેરમાં કેફી અથવા ઝેરી પદાર્થ પીધા બાદ ચાર લોકોને ગંભીર અસર થવાનો મામલો અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચકચારી કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પ્રાથમિક રિપોર્ટમાં એક અત્યંત મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. શંકાસ્પદ કેફી પદાર્થની તપાસ દરમિયાન તેમાં 'મિથેનોલ' કેમિકલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. સામાન્ય રીતે લઠ્ઠો બનાવવા માટે મિથેનોલ જવાબદાર હોય છે, પરંતુ આ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનું સામે આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, જો કે તેની સાથે જ હવે રહસ્ય વધુ ઘેરાયું છે.


અનેક પ્રકારના તર્કવિતર્કો શરૂ

ગઈકાલ સુધી એવી જોરદાર ચર્ચા અને આશંકા સેવાઈ રહી હતી કે આ પીણામાં અગરબત્તી બનાવવામાં વપરાતા કોઈ ઘાતક કેમિકલની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે. પરંતુ હવે મિથેનોલની ગેરહાજરીના અહેવાલ બાદ વહીવટી તંત્ર અને સ્થાનિકોમાં અનેક પ્રકારના તર્કવિતર્કો શરૂ થયા છે કે આખરે આ કયું ઝેર હતું જેણે ચાર લોકોની જિંદગી જોખમમાં મૂકી દીધી.

બે લોકોની હાલત હજુ ગંભીર, પોલીસ તપાસ તેજ

બીજી તરફ, ઝેરી અસરનો ભોગ બનેલા ચાર નાગરિકોમાંથી બે વ્યક્તિઓની હાલત હજી પણ અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ બંને અસરગ્રસ્તોને હોસ્પિટલમાં આઈસીયુમાં વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, જ્યાં ડોક્ટરોની ટીમ સતત તેમની દેખરેખ રાખી રહી છે. જ્યારે અન્ય બે અસરગ્રસ્તોની તબિયતમાં ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે.

પોલીસ એક્શન મોડમાં

આ ઘટનાને પગલે જુનાગઢ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. કેફી પદાર્થમાં ભલે મિથેનોલ નથી મળ્યું, પરંતુ આ દેશી દારૂ કે શંકાસ્પદ કેમિકલયુક્ત પીણું ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને તેનો સપ્લાયર કોણ છે, તે દિશામાં પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે. બુટલેગરો અને શંકાસ્પદ તત્વો પર સકંજો કસવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.


આ પણ વાંચો----     Gujarat Latest News LIVE : અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન, 100 શંકાસ્પદ પોલીસ કસ્ટડીમાં



  • Follow us on: