જૂનાગઢ જિલ્લામાં વધુ એક વખત રખડતા ઢોરે એક નિર્દોષ માનવીનો ભોગ લીધો છે. વંથલી હાઈવે પર દિલાવરનગર પાસે રખડતા ઢોર આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોક અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.


રખડતા ઢોરે લીધો નિર્દોષનો ભોગ

મળતી માહિતી મુજબ, ગોપાલ વામજા નામનો યુવક પોતાની બાઈક લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવરનગર પાસે અચાનક એક ધણખૂટ (આખલો) હાઈવે પર આડો ઉતર્યો હતો. પૂરપાટ ઝડપે જતી બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ગોપાલ વામજા રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત

એક આશાસ્પદ યુવકના અચાનક અવસાનથી વામજા પરિવાર પર આભ ફાટ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર રખડતા ઢોરના કારણે વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો: Morbi: રાજપર ગામે રમતા-રમતા આફત આવી, રમકડાની બેટરી ફાટતા 8 વર્ષનો માસૂમ ગંભીર રીતે દાઝ્યો


  • Follow us on: