ગિરનારની તળેટીમાં ભવનાથ ક્ષેત્રે મહાશિવરાત્રિના પરંપરાગત મિની કુંભ મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દેશભરમાંથી સાધુ-સંતો અને નાગા સંન્યાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે અને તેઓએ પોતપોતાના સ્થાને ધુણા બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. જોકે, મેળાના પ્રારંભે જ સુવિધાઓના અભાવે સાધુ-સંતોમાં તંત્ર સામે ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે.
સાધુ સંતોનું મેળામાં આગમન શરુ
મેળામાં પધારેલા સાધુ-સંતોએ આક્ષેપ કર્યો છે કે ભવનાથમાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નથી. સંતોએ જણાવ્યું કે તેમને પીવાના પાણી માટે નાણાં ખર્ચીને વેચાતું પાણી લેવા મજબૂર થવું પડી રહ્યું છે. ઠંડી અને ધાર્મિક વિધિ માટે જરૂરી ધુણા માટે પણ લાકડાની પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તંત્રની ઉદાસીનતા સામે ટકોર કરતા સાધુ-સંતોએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, "મહાશિવરાત્રિનો મેળો એ સાધુ-સંતોનો મેળો છે, અધિકારીઓનો નહીં."
