ગાંધીનગરના કલોલ તાલુકાના પિયજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી આજે સવારે એક સાથે ત્રણ કમભાગી આત્માઓના મૃતદેહ તરતા મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતકોમાં અમદાવાદમાં રહેતી 23 વર્ષીય પરિણીતા, તેની દોઢ વર્ષની માસૂમ દીકરી અને પરિણીતાની સગી માતાનો સમાવેશ થાય છે. સૌથી વધુ ચોંકાવનારી અને રહસ્યમય બાબત એ છે કે ત્રણેયના મૃતદેહો એકબીજા સાથે દુપટ્ટાથી બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા, જે સામૂહિક આત્મહત્યા તરફ ઈશારો કરે છે. આ ઘટનાની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
મૃતકોની ઓળખ થઇ
મળતી વિગતો મુજબ, મૃતકોની ઓળખ સંગીતાબેન બચુભાઈ પ્રજાપતિ (માતા), નેહાબેન દીપકભાઈ પ્રજાપતિ (પુત્રી, ઉંમર વર્ષ ૨૩) અને દોઢ વર્ષની માસૂમ પહલ દીપકભાઈ પ્રજાપતિ (દોહિત્રી) તરીકે થઈ છે.
નેહા પ્રજાપતિ માતાને મળવા નિકળી હતી
ઘટનાની પૃષ્ઠભૂમિ એવી છે કે, અમદાવાદમાં રહેતી નેહા પ્રજાપતિ ગત દિવસોમાં પોતાની દોઢ વર્ષની પુત્રી પહલને લઈને ઘરેથી નીકળી હતી. તે મહેસાણા જિલ્લાના તળેટી ગામે રહેતી પોતાની માતા સંગીતાબેનને મળવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. નેહા ફોન ન ઉપાડતી હોવાથી ચિંતાતુર પરિવારે તપાસ કરતા તેનું છેલ્લું લોકેશન કલોલના પિયજ ગામની નર્મદા કેનાલ પાસે આવ્યું હતું. પરિવારજનો કેનાલ પર પહોંચ્યા હતા પરંતુ રાત્રે કોઈ ભાળ મળી નહોતી.
કેનાલમાંથી ત્રણેયના મૃતદેહ મળ્યા
આજે વહેલી સવારે કેનાલમાં ત્રણેયના મૃતદેહ એકસાથે તરતી દેખાતા સ્થાનિકોએ તાત્કાલિક કલોલ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી કલોલ નગરપાલિકાના ફાયર ફાઈટર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ત્રણેય મૃતદેહોને બહાર કઢાવ્યા હતા. એકબીજાના હાથ દુપટ્ટાથી બાંધેલા હોવાથી આ પરિવારે કયા આકરા પગલાં કે ઘરેલું કંકાસના કારણે આ સામૂહિક જળસમાધિ લીધી તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા છે અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની સઘન તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News live: અમરેલીના લુવારિયા વીડીમાં બીમારીના કારણે સિંહણનું મોત, વન વિભાગ દ્વારા કારણોની તપાસ શરૂ