ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ અને પવિત્ર યાત્રાધામ ગળતેશ્વર ખાતેથી એક અત્યંત ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. મહીસાગર અને ગળતી નદીના ત્રિવેણી સંગમ તટે આવેલા આ પવિત્ર સ્થળે દર્શનાર્થે અને નાહવા માટે આવેલા મુસાફરો અને નદી કિનારે ધંધો કરતા સ્થાનિક વેપારીઓ વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ધીંગાણું સર્જાયું હતું. બંને પક્ષો વચ્ચે થયેલી આ લોહિયાળ ઝપાઝપી અને મારામારીનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની 'સંદેશ' સત્તાવાર પુષ્ટિ કરતું નથી.


ઉમટેલી મેદની વચ્ચે ગેરકાયદે વેપારીઓની દાદાગીરી

હાલમાં ચાલી રહેલા પવિત્ર અક્ષર પુરુષોત્તમ માસના કારણે ગળતેશ્વર મહાદેવના દર્શન કરવા અને સંગમ નદીમાં પવિત્ર સ્નાન કરવા માટે ઐતિહાસિક કહી શકાય તેટલું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ ભીડનો લાભ ઉઠાવીને નદીના પટમાં ગેરકાયદેસર રીતે ઝુંપડા અને કેબિનો તાણી બાંધીને વ્યવસાય કરતા કેટલાક અસામાજિક તત્વો જેવા વેપારીઓએ સામાન્ય બાબતમાં યાત્રીઓ સાથે બબાલ શરૂ કરી દીધી હતી. જોતજોતામાં વિવાદ એટલો વધી ગયો કે લાકડીઓ અને હાથઉછીના હથિયારો વડે મુસાફરો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી પવિત્ર યાત્રાધામની ગરિમા ખરડાઈ છે.

તીર્થધામોમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉઠ્યા સવાલો

ભક્તિમય માહોલ વચ્ચે સર્જાયેલી આ હિંસક ઘટનાને પગલે ત્યાં હાજર અન્ય શ્રદ્ધાળુઓમાં ભારે નાસભાગ અને ભયનો માહોલ વ્યાપી ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, નદી કિનારે ગેરકાયદે દબાણો કરીને બેઠેલા આ વેપારીઓ અવારનવાર યાત્રીઓ સાથે લૂંટફાટ અને ઉદ્ધત વર્તન કરતા હોય છે. આ ચકચારી ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ, પ્રશાસન દ્વારા આવા ગેરકાયદેસર તત્વો સામે તાત્કાલિક કડક બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે અને પવિત્ર સ્થળોએ આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: