કચ્છના ભુજ તાલુકાના રેલડી ગામ નજીક આજે વિકાસ પ્રોજેક્ટ અને ખેડૂતોની આજીવિકા સામસામે આવી જતાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા રેલડી નજીક ઓવરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી શરૂ કરવામાં આવતા જ સ્થાનિક ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા ખેડૂતોના વિરોધને કચડી નાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી શરૂ કરાતા મામલો વધુ બિચક્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર અને હાઈવે ઓથોરિટી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.


 19 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાતમાં

આ વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ ખેડૂતોની કિંમતી જમીનનું ધોવાણ છે. સ્થાનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, રેલડી ખાતે આ નવો ઓવરબ્રિજ બનવાના કારણે આસપાસના વિસ્તારોના અંદાજે 19 જેટલા ખેડૂતોની ફળદ્રુપ જમીન કપાતમાં જઈ રહી છે.

પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ

ખેડૂતોનો આરોપ છે કે યોગ્ય વળતર કે વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના જ તેમની જીવાદોરી સમાન જમીન છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પ્રોજેક્ટની હિટાચી અને જેસીબી મશીનરી આગળ વધી રહી હતી ત્યારે જ ખેડૂતોએ કામ રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ઘટનાસ્થળે તૈનાત પોલીસ કાફલા અને ખેડૂતો વચ્ચે ભારે ઘર્ષણ અને ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા.

આંદોલનકારી ખેડૂતોની પોલીસે અટકાયત કરી

સ્થિતિ વધુ તંગ બનતા અને મામલો કાબૂ બહાર જતો જોઈને પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પ્રોજેક્ટની કામગીરીમાં અવરોધ ઊભો કરનારા અને વિરોધ પ્રદર્શન કરી રહેલા અનેક આંદોલનકારી ખેડૂતોની પોલીસે અટકાયત કરી લીધી હતી. અટકાયત બાદ પોલીસ પ્રોટેક્શન હેઠળ ઓવરબ્રિજનું કામચલાઉ કામ આગળ ધપાવવામાં આવ્યું છે. બીજી તરફ, પોતાની જમીન ગુમાવનારા ૧૯ ખેડૂત પરિવારોમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ છે. ખેડૂત સંગઠનોએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.


આ પણ વાંચો---     Gujarat Latest News Live : પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો હુમલો, 11 બાળકો સહિત 13ના મોત

  • Follow us on: