કચ્છના વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપરમાં હાલ રવિ પાકના વાવેતરની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ખેડૂતોને ખાતરની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ છે. જોકે, આ વિસ્તારમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.


રવિ પાકના વાવેતરની મોસમ પૂરજોશમાં

ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ સહકારી ખરીદ વેચાણ સંઘ અને ખેડૂત મંડળીઓ પાસે લાંબી કતારો લગાવીને ઊભા રહે છે. ખાતરની અનિયમિત વ્યવસ્થાને કારણે ખેડૂતોનો કિંમતી સમય બરબાદ થઈ રહ્યો છે અને સમયસર વાવણી કરવાનું મુશ્કેલ બન્યું છે.

 ખેડૂત આગેવાનની રજૂઆત

આ અંગે ખેડૂત આગેવાન અને રામવાવના માજી સરપંચ કરશનભાઈ મણવરે તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખાતરની અછતને કારણે ખેડૂતોને ખેતરમાં વાવણી કરવા માટે ભારે તકલીફ પડી રહી છે. જો સમયસર ખાતર નહીં મળે તો રવિ પાકનું ઉત્પાદન ખોરવાઈ જશે. કરશનભાઈ મણવરે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા વાગડ વિસ્તારમાં ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી સખ્ત માંગણી કરી છે, જેથી ખેડૂતો પોતાના વાવેતરનું કાર્ય સમયસર પૂર્ણ કરી શકે.

  • Follow us on: