ઝાલવાડ પંથકમાંથી પસાર થતી સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલ જાણે આત્મહત્યા માટેનું એપીસેન્ટર બની ગઈ હોય તેમ અવારનવાર માનવ મૃતદેહો મળી આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજે લખતર તાલુકાના જ્યોતિપરા પાસે પસાર થતી નર્મદા કેનાલના પાણીમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ તરતો હોવાની જાણ રાહદારીઓને થઈ હતી. રાહદારીઓએ તાત્કાલિક આ અંગે લખતર પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

ફાયર ફાઈટર અને તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાયો

કેનાલના ઉંડા પાણીમાં મૃતદેહ હોવાથી લખતર પોલીસ દ્વારા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. કલાકોની જહેમત બાદ જ્યોતિપરા કેનાલના પુલ પાસે તરતા આ અજાણ્યા પુરુષના મૃતદેહને પાણીની બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

શરીર પરના ટેટૂ: ઓળખ માટે મહત્વના પુરાવા

લખતર પોલીસે મૃતદેહની પ્રાથમિક તપાસ કરતા યુવકની ઓળખ થઈ શકે તેવા કેટલાક નિશાનો મળી આવ્યા છે. મૃતક યુવકની છાતી પર 'પ્રિયા' નામની સાથે 'દિલ' (Heart) અને અંગ્રેજી કેપિટલ અક્ષર 'P' ત્રોફાવેલું છે. આ ઉપરાંત તેના જમણા હાથ પર 'સની' નામ અને દિલનું ટેટૂ જોવા મળ્યું છે. પોલીસે આ વર્ણન અને ટેટૂના આધારે યુવકની ઓળખ કરવા માટે આસપાસના જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં જાણ કરી છે. આ યુવકે આત્મહત્યા કરી છે કે તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો