રાજ્યસભા સાંસદ મયંક નાયક દ્વારા રાજ્યસભાના ગૃહમાં ગુજરાત અને દિલ્હી વચ્ચે રેલવે કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવા નવી ટ્રેન શરૂ કરવા માંગ રજૂ કરવામાં આવી છે. સાંસદે ગાંધીનગર થી દિલ્હી વાયા હિંમતનગર-શામળાજી-ઉદેપુર-જયપુર માર્ગ પર 'વંદે ભારત સ્લીપર ટ્રેન' સેવા શરૂ કરવાની રજૂઆત અને માંગણી રાજ્યસભાના ગૃહમાં કરી છે. સાંસદએ રજૂઆતમાં જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના નાગરિકોને હાલમાં આ રુટ પર દિલ્હી સુધી સીધી, ઝડપી અને આરામદાયક રેલ સેવા ઉપલબ્ધ નથી. જો આ રૂટ પર વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ થાય તો ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓને રાષ્ટ્રીય રાજધાની સાથે સશક્ત કનેક્ટિવિટી મળશે. આ રૂટ પર ઉદેપુર જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિના પર્યટન સ્થળ સાથે શામળાજી, શ્રીનાથજી, ખાટુ શ્યામજી, સાંવરિયા શેઠ અને જયપુર જેવા પ્રસિદ્ધ ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળો આવેલાં છે. ટ્રેન સેવા શરૂ થવાથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તેમજ દેશભરના યાત્રાળુઓ અને પ્રવાસીઓને સરળ, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીની વધુ તકો ઉપલબ્ધ થશે. આ ટ્રેન સેવા વેપાર, શિક્ષણ, આરોગ્ય અને રોજગાર ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતના યુવાનો, વેપારીઓ અને વિદ્યાર્થીઓને દિલ્હી તથા ઉત્તર ભારત સાથે સીધી જોડાણ મળવાથી વિકાસના નવા દ્વાર ખુલશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો